ગુજરાતે કોરોનાને હરાવવાનો પડકાર ઝિલ્યો છેઃ રૂપાણી
ગાંધીનગર : રાજ્યભરના જિલ્લાઓના ૧રર૪૭ એમએસએમઈ ઉદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. ૭૬૮ કરોડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગ સહિતના અન્ય મોટા ઉદ્યોગોના ૮૩પ એકમોને રૂ. ૬૦૧ કરોડની સહાય મળી કુલ ૧૩ હજાર એકમોને રૂ. ૧૩૬૯ કરોડની સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા આ ઉદ્યોગકારોના બેન્ક ખાતામાં ડીબીટીથી જમા કરાવવાની અભિનવ પહેલ રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાડાયેલા ઉદ્યોગ-વેપાર પ્રતિનિધિઓને આ સહાય અર્પણ વેળાએ પ્રેરણા આપતાં કહ્યું કે, ઉદ્યોગ વેપાર તો ગુજરાતના ડીએનએમાં રહેલા છે ત્યારે કોરોના કોરોના કરીને બેસી રહેવાને બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા-સાવચેતી સાથે વેપાર, ઉદ્યોગો, ધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના-કોવિડ-૧૯ સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઈ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને એમએસએમઈ ઉદ્યોગકારોને આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ સામે ‘‘જાન હૈ-જહાન હૈ’’ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઉદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા-ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઉદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.