
સુરતમાં બે રત્નકલાકારોને ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો, એકનું મોત, એકનો હાથ ફ્રેક્ચર
સુરતના ઈચ્છા પર વિસ્તારમાં આવેલી અંકિત જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ (તુષાર મિશ્રા મૃત્યુ પામનાર, ગૌરવ મિશ્રા ઈજાગ્રસ્ત) કામ પૂર્ણ થઈ ગયા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ હતી. પરિણામે નીચે પટકાતા તુષારનું સારવાર દરમિયાન મોત થયું હતું, તેમજ એક ભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે.
મધ્યમ વર્ગના પરિવારના બે સગા ભાઈઓનો અકસ્માત થતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. કટલરીનો બિઝનેસ કરતા પિતાને સમાચાર મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુષારનો એકાએક અવસાન થતા પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા. દિવાળી પૂર્વે બનેલી ઘટનાથી સમગ્ર ઓલપાડ પંથકમાં શોકનો માહોલ ફેલાયો હતો.
બંને ભાઈઓ એક જ ડાયમંડ ફેક્ટરીની અંદર કામ કરતા હતા. બંને ભાઈઓ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે રાબેતા મુજબ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. રખડતા ઢોરને કારણે કેટલાય માસુમ લોકોના જીવ આ રીતે જઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય રીતે અલગ અલગ વિસ્તારોમાં ઝડપથી આ કામગીરી કરવામાં તેઓ નિષ્ફળ થઈ રહ્યા છે.