
૪૦ વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત હતો
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડાને જોડતો ભોગાવો નદી પરનો બ્રિજ ધડામ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ૩૫થી ૪૦ વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત બન્યો હતો. ક્ષતિગ્રસ્ત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા વસ્તડી ગામના સરપંચે પ્રશાસનને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી. જોકે પ્રશાસનને કોઈ ગંભીરતા ન દાખવતા રવિવારના પુલ પરથી એક માટી ભરેલુ ડમ્પર અને બે બાઈક સવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓચિંતા જ બ્રિજ ધડામ થઈને તૂટી પડયો હતો. વારંવારની રજૂઆત બાદ પ્રશાસન તરફથી ક્ષતિગ્રસ્ત બ્રિજ પર અવર-જવર બંધ કરવાના બદલે માત્ર ચેતવણી આપતું બોર્ડ લગાવી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ, તે દરમિયાન એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા અને પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહીત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા.
૨૦ દિવસ પહેલા પણ વસ્તડી પુલનો કેટલોક ભાગ તૂટયો હતો. રીપેરીંગ દરમિયાન પુલની પાળી તૂટી હતી. તે સમયે પુલની પાળી તૂટતાં ૩ શ્રમિકો નદીમાં પટકાયા હતા અને ૩ શ્રમિકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જોકે દુર્ઘટના બાદ પણ સુરેન્દ્રનગરનું પ્રશાસન ઊંઘતું રહ્યું અને આખરે જર્જરિત બ્રિજ તૂટી ગયો.