વિદ્યાર્થીઓને ભારે ભરખમ બેગ ઉંચકવામાંથી મુક્તિ મળશે
કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસીના અમલના ભાગરૂપે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ રાજ્યમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક વખત સ્કૂલ બેગ વગર સ્કૂલે જવાની છુટ આપવામાં આવી છે. આ નિયમ તમામ પ્રકારની સ્કૂલોને લાગુ કરશે. આ એક દિવસ માટે વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટના પાઠ ભણાવાશે તેમજ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે બેગનું વજન પણ નક્કી કરાયું છે. આમ વિદ્યાર્થીઓને ભારે ભરખમ બેગ ઉંચકવામાંથી મુક્તિ મળશે.
અન્ય એક આદેશ પ્રમાણે ધોરણ બે સુધી તો બાળકોને કોઈ હોમવર્ક પણ સ્કૂલો આપી નહીં શકે. જ્યારે 3, 4 અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને દર સપ્તાહે બે કલાકથી વધારે સમયનું હોમવર્ક નહીં આપી શકાય. ધો 9 થી 12ના વિદ્યાર્થીઓને રોજનું બે કલાકનું જ હોમવર્ક સ્કૂલો આપી શકશે. જ્યારે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ બૂક, વર્ક બૂક અને બીજો જરૂરી સામાન ક્લાસરૂમમાં જ મુકી રાખવાનો રહેશે.
સ્કૂલ બેગના વજનને લઈને સરકારનું કહેવું છે કે, પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન 1.6 થી 2.2 કિલો, ત્રીજાથી પાંચમા ધોરણની સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો, છઠ્ઠા અને સાતમા ધોરણમાં સ્કૂલ બેગનું વજન 2 કિલોથી 3 કિલો, આઠમા ધોરણમાં 2.5 થી 4 કિલો, નવમા અને દસમા ધોરણ માટે 2.5 કિલોથી 4.5 કિલો રહેશે. જ્યારે 11 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન સ્કૂલે વિવિધ વિષયોના આધારે નક્કી કરવાનું રહેશે. દરેક રાજ્યના જિલ્લા શિક્ષણાધિકાર દર ત્રણ મહિને સ્કૂલોમાં ચેકિંગ કરીને સ્કૂલબેગના વજનની તપાસ કરશે.