અમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ, ૧૧૫ કેસ : ૧૩૦ની અટકાયત
અમદાવાદ : શહેરમાં ગઈકાલ રાતથી શરુ થયેલા કર્ફ્યૂનું પોલીસ દ્વારા ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને જે લોકો કારણ વિના ઘરની બહાર નીકળી રહ્યા છે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ્સ પર પણ પોલીસે નાકાબંધી કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે ૧૧૫ કેસ કર્યા છે, અને ૧૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેવાનો છે. આ દરમિયાન શહેરમાં બહારથી આવતા વાહનોને પણ નો-એન્ટ્રી કરી દેવાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વાહનચાલક અમદાવાદ જતા હોય, અને જેમની પાસે અમદાવાદનું આઈડી હોય તેમને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. બાકીના વાહનોને બાયપાસ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનજરુરિયાતની ચીજવસ્તુનું વહન ના કરતા હોય તેવા વાહનોને પણ શહેરમાં નો-એન્ટ્રી છે. કર્ફ્યૂ દરમિયાન કોઈ પોતાના ઘરની બહાર ના નીકળે તે માટે શુક્રવારે પણ પોલીસ દ્વારા ઠેર-ઠેર લાઉડ સ્પીકરો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે આમ પણ શહેરના રસ્તા પર જરાય ટ્રાફિક જોવા નહોતો મળ્યો. શહેરના મોટાભાગના વિસ્તારો હાલ સૂમસામ છે, ત્યારે સોમવાર સવાર સુધી આ જ સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે કોઈ કચાશ નથી રાખી.