આવતીકાલે થી સોમનાથ, દ્વારકા, ચોટીલા, પાવાગઢ અને 12 જૂને થી અંબાજી મંદિરનાં દ્વાર ખૂલશે
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને રાજ્યનાં તમામ યાત્રાધામો મહિનાઓથી બંધ છે. ત્યારે હવે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટતાં આવતીકાલે 11 મેથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલાનો સમાવેશ થાય છે, જ્યારે વડતાલ સ્વામિનાયણ મંદિર, અંબાજી, 12 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે.
સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે હવે આવતીકાલે એટલે તા.11 જૂન 2021થી ભાવિકો માટે ખૂલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે ગાઈડલાઈન્સ મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ આવવાનું રહેશે. મંદિરમાં અને આખા સંકુલમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે.
ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર પણ દર્શન માટેના સ્લોટની લિંક મૂકવામાં આવી છે, જે દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે, જેથી વધુ સમય લાઈનમાં ન ઊભા રહેવું પડે. મંદિરમાં દર્શનનો સમય પણ મર્યાદિત છે. એ મુજબ સવારે 7:30થી 11:30 અને 12:30થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખૂલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે.