એસ.એમ.વી.એસ સ્વામિનારાયણ હોસ્પિટલને ધારાસભ્યનાં હસ્તે પુરસ્કાર એનાયત કરાયો
ગુરુદેવ પ.પૂ.બાપજીનાં સંકલ્પે માર્ચ 2019માં શરૂ થયેલી અને ગાંધીનગર,અમદાવાદ તથા આજુબાજુના જિલ્લાનાં દર્દીઓ માટે એસ.એમ.વી.એસ સ્વામિનારાયણ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે.ત્યારે ચાર વર્ષનાં ટૂંકાગાળામાં તમામ પ્રકારના લાખો દર્દીઓની સફળતાપૂર્વક સેવા કરવાની સાથે-સાથે હોસ્પિટલ આરોગ્યની ગુણવત્તાનાં માપદંડ જાળવી રાખી સેવા કરી રહી છે.એસ.એસ.વી.એસ સ્વામિનારાયણ હોસ્પિટલ પ્રથમ વર્ષથી જ હોસ્પિટલોનાં ગુણવત્તાનાં ઉચ્ચતમ માપદંડ નાભની માન્યતા ધરાવે છે.જેમાં હોસ્પિટલ જરૂરીયાતવાળા દર્દીઓને ઉચ્ચતમ ગુણવત્તાવાળી સારવાર પોસાય તેવા દરે મળી રહે તેવા ઉદ્દેશથી ચાલી રહી છે.જેમાં કોરોના દરમિયાન દર્દીઓની કરેલી સારવાર માટે હોસ્પિટલને 2021માં સરકાર તરફથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.ત્યારે 26 જાન્યુઆરી 2023ના રોજ ગાંધીનગરના માણસા તાલુકા ખાતે યોજાયેલ પ્રજાસતાક દિને એસ.એમ.વી.એસ સ્વામિનારાયણ હોસ્પિટલને વધુ એકવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંબંધી સેવા પૂરી પાડવા બદલ ગુજરાત રાજ્યનાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા,ગાંધીનગર કલેકટર પ્રવિણા ડી.કે. તથા માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલનાં હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.