સૌરાષ્ટ્રમા ભારે વરસાદથી શેત્રુંજી,ન્યારી સહિતના 38 ડેમો ઓવરફલો થયા
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસાદ વરસાવતા કલાકોમા પાણીનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે અને જળાશયો ચિકકાર કરી દીધા છે. આથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છવાઈ ગઈ છે. જેમા ખાસ કરીને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી,ગીર સોમનાથ જિલ્લાનો હિરણ સહિત સૌરાષ્ટ્રનાં 38 ડેમો તેની નિર્ધારિત સપાટી વટાવી ગયા છે અને વર્તમાન સમયમા ઓવરફલો થઈ રહ્યા છે. ભાવનગરના પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ હોય ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ 4 દિવસ પહેલા જ ઓવરફલો થઈ ગયો હતો. આ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ પડતાં શેત્રુંજય ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના 59 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેમા રાજકોટ જિલ્લાનાં ન્યારી 1-2 સહિત 16 ડેમો હાલ ઓવરફલો થઈ રહ્યા છે. જિલ્લાનાં જે ડેમો ઓવરફલો થઈ રહ્યા છે તેમાં ન્યારી 1-2 ઉપરાંત મોજ,ફોફળ,વેણુ-2,આજી,વેરી,મોતીસર,ખોડાપીપર,લાલપરી, છાપરવાડી 1-2 અને ભાદર-2નો સમાવેશ થાય છે. જયારે મચ્છુ-2માં એક ફુટ અને ડેમી-1-2માં 6॥ ફુટ નવું પાણી આવેલ છે. આ દરમ્યાન જામનગરનાં 21 પૈકી 16 ડેમો ઓવરફલો થઈ રહ્યા છે. જેમાં પન્ના,ફુલઝર-1,સપડા,ફુલઝર-2,વિજરખી,ફોફળ-2,ઉંડ-3,આજી-4,રંગમતી,ઉંડ-1,કંકાવટી,ઉંડ-2,વાડીસંગ,ફુલઝર,રૂપારેલ અને ઉમીયાસાગરનો સમાવેશ થાય છે.