દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યનો આપઘાત, આર્થિક સંકળામણમાં વેપારીએ પત્ની અને 3 દીકરી સાથે ઝેર ઘોળ્યું
દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. દંપતીએ 3 દીકરીઓ સાથે આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના 5 સભ્યોએ આર્થિક સંકળામણનો આપઘાત કર્યો હોવાની આશંકા છે.
દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી સૈફીભાઈ બરઝરવાલાએ પત્ની અને 3 દીકરી સહિત પરિવારના 5 સભ્યોએ ગત રાત્રિના સમયે સામૂહિક આપઘાત કર્યો હતો. જોકે આજે સવારે સામૂહિક આપઘાતની જાણ થતાં આસપાસ લોકોના ટોળેટોળા સુજાઈબાગમાં એકત્ર થઇ ગયા હતા અને સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી દાહોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. FSLની ટીમ પણ હાલ સ્થળ પર પહોંચી અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે.
દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કરતા સુજાઈબાગના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પરિવારના 5 સભ્યોએ આર્થિક સંકળામણનો આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસે તેમના પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બરઝર ગામના રહેવાસી સૈફીભાઈ બરઝરવાલા 10 વર્ષ પહેલા દાહોદમાં રહેવા આવ્યા હતા અને તેઓ દાહોદમાં ડિસ્પોઝેબલ ગ્લાસની ફેક્ટરી ચલાવતા હતા.