
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે
અમદાવાદ, વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ ૨૬ મી રાત્રિએ ગુજરાત આગમન કરશે. તો ૨૭ સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જોકે, હજી તેમના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતું તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજયભવનમા મીટિંગોનો દોર ચાલશે તે નક્કી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજભવનમાં રાજકીય અને વહીવટી તંત્રની મીટિંગોનો દોર ચાલશે. ત્યારે પીએમ મોદીની ૨૬ સપ્ટેમ્બરના રોજ રાત્રિ રોકોણથી સરકાર અને સંગઠનમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્ય છે.
૨૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સાયન્સ સિટી, બોડેલી તથી વડોદરામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ ૨૬ સપ્ટેમ્બરે સાંજે ૬.૦૦ કલાકે ગુજરાત આવી પહોંચશે. બીજા દિવસે સવારે ૧૦.૦૦ કલાકે તેમનો કાર્યક્રમ શરૂ થશે. સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે. જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં ૪૫૦ કરોડના કામોનુ લોકાર્પણ કરશે. તેના બાદ તેઓ બપોરે ૨ વાગ્યે વડોદરા પહોંચશે.
જ્યાં ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ બદલ વડાપ્રધાનનું અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ બાદ તેઓ દિલ્હી જવાના રવાના થશે. વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. ૨૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે. આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે ૨૦ કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે.
પૂલ બનવાથી બીજો મોટો લાભ એ થશે કે કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે. એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં સાગરને મળતા મા નર્મદાના ૧૩૧૨ કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ ૫૫ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ માલસર પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પૂલ ૧૩૧૨ કિલોમિટર લાંબી આ નદી ઉપર બાંધવામાં આવેલો ૫૬મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે. સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરવાથી આ બાબતનો સારી રીતે ખ્યાલ આવી શકે છે. બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.