PM મોદીએ હોસ્પિટલમાં ડૉક્ટર્સ સાથે કરી ચર્ચા, માતા હીરાબાની તબિયત હાલ સ્થિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોઇ હાલ PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર છે. PM મોદીએ હોસ્પિટલમાં ડોકટરો સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી.
વડાપ્રધાન નરે મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો આવ્યો છે. સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેઓને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે હેલ્થ બુલેટીન બહાર પાડ્યું છે કે તેઓની તબિયતમાં સુધારો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. તો અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે હાજર છે. હીરાબાની તબિયતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચી શકે છે.
PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો: મેડિકલ બુલેટીન
યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગઇકાલે PM મોદીના ભાઇની કારને અકસ્માત નડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.