વડોદરામાં વધુ ૫ દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક ૨૩૩૮ ઉપર પહોંચ્યો, ૧૭૦૪ દર્દી રિકવર થયા.
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ ૫ દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારના ૭૨ વર્ષીય વૃદ્ધ, હરણી વિસ્તારના ૭૫ વર્ષીય વૃદ્ધ, માંડવી વિસ્તારના ૬૯ વર્ષીય વૃદ્ધ, નવાપુરાના ૫૨ વર્ષીય વ્યક્તિ અને ભરૂચના જંબુસરના ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો આજે વધુ એક પોઝીટિવ કેસ નોંધાયો છે. ઝઘડિયામાં કોરોના પોઝીટિવ દર્દી સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવનો કેસનો કુલ આંક ૨૫૧ ઉપર પહોંચ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૩૩૮ ઉપર પહોંચી ગઇ છે. બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ ૫૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૦૪ સાજા થયા છે. વડોદરામાં હાલ ૫૭૭ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૧૭ ઓક્સિજન ઉપર અને ૩૯ વેન્ટીલેટર પર છે.
વડોદરા શહેરમાં બુધવારે ઓલ્ડ પાદરા રોડ, ન્યુ VIP રોડ, ખોડિયારનગર, ગોત્રી, ડભોઇ રોડ, ખારવાવાડ, માંજલપુર, હાથીખાના, અકોટા, ફતેપુરા, અટલાદરા, વારસીયા, ગોરવા, આજવા રોડ, નાગરવાડા, વાડી, તાંદલજા, સમા, કારેબીબાગ, યાકુતપુરા, દિવાળીપુરા, વાઘોડિયા અને સયાજીગંજ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. વડોદરા ગ્રામ્યમાં પાદરા, દશરથ, ચાપડ, ફર્ટીલાઇઝરનગર, જરોદ અને શિનોરમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.