ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

ગુજરાત
ગુજરાત

ડાકોર, એક તરફ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂનમના પગલે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં વિદાય લઇ રહેલા ચોમાસા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ વરસતા ભક્તો મુશ્કેલીમાં મુકાઇ ગયા. ધોધમાર વરસાદ ખાબકતા ડાકોર મંદિરના પગથિયા સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો.

ભાદરવી પૂનમના પગલે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. જો કે ડાકોરમાં પડેલા અનરાધાર વરસાદે ડાકોરમાં શ્રદ્ધાળુઓ માટે હાલાકીનું સર્જન કર્યુ.મોડીરાત્રે પડેલા વરસાદમાં ડાકોર પાણી પાણી થયું છે. ડાકોર મંદિરના પગથિયા સુધી ભરાયા પાણી ભરાઇ ગયુ. મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો.

ડાકોરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો કોર્પોરેશનના તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડાકોરમાં નવી ગટરલાઇન નાખવાના કામમાં બેદરકારી દાખવવાના પગલે આ સમસ્યા ઉદભવી છે.નવી ગટરલાઇનમાં ચોકઅપ થવાના પગલે નગરમાં વરસાદી પાણી ભરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડાકોરમાં ધોધમાર વરસાદના કારણે કલાકો સુધી વીજળી પણ ગુલ થઇ ગઇ હતી. ખેડા જિલ્લામાં ડાકોર ઉપરાંત ઠાસરા, ગળતેશ્વર, સેવાલિયામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.મહેમદાવાદ, મહુધામાં પણ મેઘ મહેર ઉતરી હતી. વરસાદી પાણીએ પારાવાર મુશીબતો નોંતરી હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.