કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું બીમારીમાં નિધન થતા જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ
કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું આજે ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમ્યાન 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં યાદ બની રહેશે.
કચ્છના રાજપરિવારના મોભી સદગત મહારાવશ્રીના અંતિમ દર્શન તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યા હતા. બપોરે એક વાગ્યા બાદ સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર રાજ પરિવારના સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
સદગત મહારાવ શ્રીની તબિયત છેલ્લા વિસ દિવસથી નાદુરસ્ત હતી. આ દરમ્યાન તેમને કોરોના બીમારી લાગુ પડી ગઈ હતી. જેની સારવાર બાદ બે દિવસ પૂર્વે તેમાંથી સ્વસ્થ થતા રજા પણ મળી ગઈ હતી. પરંતુ કેન્સરની બીમારીની વધુ સારવાર દરમ્યાન આજે તેમનું અવસાન થયું હતું. પ્રસિદ્ધિ વગરના અનેક ગુપ્ત સેવકાર્યોથી તેઓ વિશેષ લોક ચાહના ધરાવતા હતા.
તેમની વિદાયના સમાચાર સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશમાં ફરી વળતા અનેક નામાંકિત હસ્તીઓ, રાજ ઘરાનાના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભચાઉના સપૂત અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તથા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ શોકાંજલી પાઠવી હતી.