ઉત્તર ગુજરાતમાં કોરોના બેકાબુ, વધુ ૬૯ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ પાટણ, મહેસાણા,સાબરકાંઠા : પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ ન લેતું હોય તેમ આજેપણ ૩૯ કેસ સામે આવ્યા છે. આ સાથે રાધનપુરના ધારાસભ્યનો પણ અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે સાંજના સમયે જીલ્લામાં ૩૯ કેસ નોંધાતા જીલ્લાનો કુલ આંક ૬૧૮ પહોંચી છે. આજે સૌથી વધુ કેસ પાટણ અને ચાણસ્મા તાલુકામાં નોંધાતા કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક ૬૧૮ પહોંચ્યો છે. જીલ્લામાં એકસાથે કોરોના વાયરસના નવા ૩૯ દર્દી ઉમેરાયા છે. આ ૩૯ સિવાય રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુભાઇ દેસાઇનો અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. પાટણમાં નવા ૩૯ દર્દીઓમાં પાટણ શહેરમાં ૩, તાલુકાના નોરતામાં ૩ અને બાલીસણામાં ૧, ચાણસ્મા શહેરમાં ૧, તાલુકાના ધીણોજમાં ૩, મીઠીવાવડીમાં ૧, બ્રાહ્મણવાડામાં ૧, સિધ્ધપુર શહેરમાં ૨, રાધનુપર શહેરમાં ૪, સમીના ગુજરવાડામાં ૧, હારીજના એકલવામાં ૧ તેમજ અન્ય ૧૮ મળી નવા ૩૯ દર્દીઓનો ઉમેરો થયો છે. હવે આ મહામારીથી બચવા લોકોને જ સતર્ક બનવું પડશે તે ચોક્કસ છે. પાટણ જિલ્લામાં જે રીતે કોરોના કહેર વ્યાપી રહ્યો છે તે જોતા સમગ્ર જિલ્લામાં ફરી લોકડાઉન કરાશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.
મહેસાણામાં કોરોના સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં કેસો નોંધાઇ રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે ૨૦ નવા દર્દીઓનો ઉમેરો થયો છે. જેમાં શહેરી વિસ્તારમાં ?૧૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ મળી નવા ૨૦ કેસ નોંધાયા છે. આ તરફ આજે જીલ્લામાં એકસાથે ૪૧ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે ખરોડના ૭૦ વર્ષિય પુરૂષનું સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે જીલ્લામાં ૧૫ પુરૂષ અને ૫ સ્ત્રીઓ મળી નવા ૨૦ દર્દીઓનો ઉમેરો થયો છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજના દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જીલ્લામાં આજે મહેસાણા શહેરમાં ૪, મહેસાણા તાલુકાના રામોસણામાં ૧, મેઉમાં ૨ કેસ નોંધાયા છે. ઊંઝા શહેરમાં ૧ ઊંઝા તાલુકાના નવાપુરામાં ૧, કડી શહેરમાં ૨ અન કડી તાલુકાના ખાવડમાં ૧, કરણનગરમાં ૧, સુજાતપુરમાં ૧, કુંડાળમાં ૧, વિસનગર શહેરમાં ૩ અને તાલુકાના ખરવડા ગામે ૧ અને બેચરાજી તાલુકાના મોઢેરા ગામે ૧ મળી નવા ૨૦ કેસોનો ઉમેરો થયો છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોવિડ-૧૯ અંતર્ગત કુલ ૯૩૪૨ સેમ્પલ લેવામાં આવ્યા બાદ ૮૬૯૦ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં આજે આવેલા ૪૪૨ સેમ્પલના રીઝલ્ટમાં ૪૨૫ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે સરકારી લેબમાં ૧૭ અને ખાનગી લેબમાં ત્રણ કોરોના કેસ સામે આવ્યા છે. જીલ્લામાં હાલ કોરોનાના ૨૪૭ કેસ એક્ટિવ છે. સાબરકાંઠા જિલ્લામાં શનિવારે આવેલા રીપોર્ટ મુજબ નવા દસ કોરોનાના કેસ સામે આવ્યા. જેમાં ઇડર તાલકાના ભદ્રેસર ગામમાં ૪૪ વર્ષીય પુરુષ, મોહનપુર ગામમાં ૩૫ વર્ષીય યુવક, વડાલી તાલુકામાં ધામડી ગામમાં ૬૦ વર્ષીય પુરુષ, સવાસલા ગામમાં ૫૫ વર્ષીય પુરુષ, પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં ૪૨ વર્ષીય પુરુષનો તેમજ હિંમતનગર શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ૩૦ વર્ષીય મહિલા, પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ૬૭ વર્ષીય પુરુષ અને ઉમિયા સિટી વિસ્તારમાં ૬૭ વર્ષીય પુરુષ તેમજ હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં ૩૯ વર્ષીય પુરુષનો અને કનાઈ ગામમાં ૬૫ વર્ષીય પુરુષનો કોવીડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
આમ જિલ્લામાં કોરોનાના ૩૫૧ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૪૮ દર્દી કોરોના મુક્ત થયા છે.જ્યારે ૭ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે. ૯૬ દર્દી સારવાર હેઠળ છે.