ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું
ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. તેમણે કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે.
સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.