લગ્ન-સામાજિક પ્રસંગોમાં 600 થી 800 મહેમાનો હાજર રાખી શકાશે
રાજ્યમાં અમલી બનાવાયેલા કોરોના નિયંત્રણમાં છૂટછાટ આપવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે. જેમાં લગ્ન અને સામાજિક પ્રસંગ માટે વર્તમાનની 400ની મર્યાદા વધારીને 600 થી 800ને મંજૂરી અપાય તેવી શક્યતા છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બાદ ગૃહ વિભાગ આગામી 1 ડિસેમ્બરથી નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય જાહેર કરશે તેવું જણાવ્યું હતું. રાજ્યમાં વ્યાપકપણે થયેલા રસીકરણને કારણે કોરોનાના કેસો અંકુશમાં છે.
દિવાળી બાદના સમયમાં કેસોમાં મોટો ઉછાળો આવ્યો નથી. ધો.1 થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. બીજીતરફ લગ્નો,સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે. આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ 1 ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમજ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી વર્તમાન સમયમાં 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12 થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યૂ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે.