બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાતા તેમના પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. કીર્તિસિંહ વાઘેલાએ આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. કાંકરેંજ ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાનું સરળ વ્યક્તિત્વ છે તેઓ નિખાલસ અને નિર્વિવાદિત છે. ક્ષત્રિય સમાજમાંથી આવતા નેતા છે. તેમજ વર્ષ 2012માં ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેઓ 600 વોટથી કોંગ્રેસના ધારસિંહ ખાનપુરા સામે હારી ગયા હતા. પરંતુ પાર્ટીએ તેમને વર્ષ 2017માં ફરીથી ટિકિટ આપી હતી. જેમાં તેમણે કોંગ્રેસના દિનેશ ઝાલરાને હાર આપી હતી. આમ કીર્તિસિંહ છેલ્લા 20 વર્ષથી પક્ષને વફાદાર રહીને કામ કર્યું છે આ સિવાય વર્ષ 2017ના પુરમાં તેમના ગામ ખારીયામાં 17 લોકોના જીવ ગયા હતા અને તેમને તે વખતે પુરમાં ખડેપગે કામગીરી કરી હતી. જોકે તેમના સરળ સ્વભાવના કારણે તેવો લોકોમાં ખૂબ લોકચાહના ધરાવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી કીર્તિસિંહ વાઘેલાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીપદ મળતા કાંકરેજ સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.