કોરોનાકાળમાં બસો બંધ રહેતા આવક ન હોવાથી એસ.ટી વિભાગને 500 કરોડથી વધુનું નુકસાન થયું
આજે રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વિવિધ તાલુકા મથકોના 8 નવા બસ મથકો 1 એસ.ટી. વર્કશોપના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા. આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે દહેગામ ખાતે રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં કોરોનાકાળમાં રાજ્યમાં એસ.ટી વિભાગને 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગામી 5 વર્ષોમાં રાજ્યના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધાનજક બનાવવાના સરકારના આયોજન વિશે જણાવ્યું હતું.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોની સલામત યાતાયાતની સૂવિધાઓ પુરી પાડી અદ્યતન પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. પ્રવર્તમાન યુગમા ટેકનોલોજીના માધ્યમથી એસ.ટી.ની સુવિધાઓ સહિત નવીન બસો દ્વારા મુસાફરોને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે જેનો મહત્તમ ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ધંધા- રોજગાર, સામાજિક અને અન્ય પ્રસંગોમાં એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે આજે રાજયના મોટા ભાગના નાગરિકો એસ.ટી. બસ સુવિધાનો લાભ લે છે. રાજયમાં નિયમિત 25 લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે. ગાંધીનગર અને દહેગામ તાલુકામાં દૈનિક સંચાલિત થતી એરાઇવલ અને ડર્પાચર ટ્રીપો કુલ – 725 છે.
તેમજ બસ ટર્મિનલ પરથી દૈનિક 26,232 કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું, લોકડાઉનના સમયમાં સદંતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી રાજય સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે.