રાજકોટમાં આજે બપોર સુધીમાં 110 કેસ, 24 કલાકમાં 19ના મોત
રાજકોટમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. પોઝિટિવ કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. વધતા મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. હાલ કોરોનાના મૃત્યુઆંકને ઘટાડવા નક્કર આયોજર કરવું જરૂરી બન્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. આજે બપોર સુધીમાં નવા 110 કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશનમાં એક આરોપી, એક પોલીસમેન અને બે હોમગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે.
હાલ જિલ્લામાં 11 શિક્ષકો કૂર્ણ સંક્રમિત થયા છે, IOB બેંકની ભક્તિનગર બ્રાંચમાં 2 ઓફિસર અને 3 ક્લાર્ક સહિત 5 કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે, આ ઉપરાંત રાજકોટ ST બસપોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બસસ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપટે ચડ્યા છે. આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ધોરાજીમાં આજે ફરી શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં 70 શિક્ષકો સંક્રમિત થતા શિક્ષણ ક્ષેત્રમાં ભયનો માહોલ સર્જાયો છે.
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.
રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો બતાવ્યો છે. રાજકોટ શહેરમાં સોમવારે નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતા કુલ 311 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસે કોરોનામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્યારબાદથી આ સતત ત્રીજી વખત કોરોનાએ નવી ટોચ બનાવી છે તેથી આ રીતે કેસની સંખ્યા હજુ પણ વધે અને નવી ટોચ બનાવી શકે છે.
બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યાં છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે. જોકે જે લોકોએ 10 દિવસ પુરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.