Home / News / નવી જંત્રીનો આજથી અમલ, ક્રેડાઈ ગુજરાતની મુખ્યમંત્રી સાથે મુલાકાત
નવી જંત્રીનો આજથી અમલ, ક્રેડાઈ ગુજરાતની મુખ્યમંત્રી સાથે મુલાકાત
શનિવારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને સોમવારથી એટલે કે આજથી જંત્રીના નવા દરો ગુજરાતભરમાં લાગુ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઇને બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી છે અને આજે મુખ્યમંત્રી સાથે ક્રેડાઇ ગુજરાત દ્વારા બેઠક કરવામાં આવી હતી અને પોતાની માંગો અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
જક્ષય શાહે જણાવ્યું છેકે, જંત્રીમાં કરવામાં આવેલા વધારા સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ક્રેડાઈ ગુજરાત દ્વારા બેઠક કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે હકારાત્મક અભિગમ સાથે બેઠક કરવામાં આવી છે. અમારી રજૂઆતોની નોંધ લેવામાં આવી છે.
ક્રેડાઈ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆત
- તાત્કાલીક અસરથી અમલી બનાવવામાં આવેલી જંત્રીનો અમલ અમારા નીચે જણાવેલા મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે 2023થી કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.
- સી. જી. ડી.સી. આર. મુજબ પેઈડ એફ.એસ.આઈ.માં જંત્રીના 40%ના બદલે નવી જંત્રીના 20% કરી આપવામાં આવે.
- નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રિમિયમના દર જંત્રીના 40%ના બદલે નવી જંત્રીના 20% કરી આપવામાં આવે.
- કોઈ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લા 3 વર્ષના વેચાણ વ્યવહારોને વેલ્યુ ઝોનવાઈઝ વહેચીને દરેક વેલ્યુ ઝોનની બજાર કિંમત કાઢીને તે બજાર કિંમતને જંત્રી વેલ્યુ તરીકે આખરી કરવી જોઈએ. આથી એડહોક 100%નો વધારો ન કરી સાયન્ટિફિક રીતે જંત્રી કરી આપવા વિનંતી છે.
- રહેણાંક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફકત 20%નો જ વધારો કરવા વિનંતી છે.
- 2011માં એક એસ. આઈ. 1.8/2.25 સુધીની હતી. 2023માં એફ.એસ. આઇ. 2.7/4/5.4 સુધીની મળવા પાત્ર છે.
- જેથી મકાનોની કિંમતમાં કોઈ ખાસ વધારો થયો નથી. તેથી રહેણાંક ફલેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફકત 20% નો જ વધારો કરવા વિનંતી છે.
- આમ જોતા જો જંત્રીમાં વધારો થાય તો જી.એસ.ટી., સ્ટેમ્પ ડયુટી, કેપીટલ ગેઈન ટેક્ષ વિગેરેમાં ધરખમ વધારો સામાન્ય પ્રજા ઉપર પડે છે. હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલો 100% વધારો થતાં માર્કેટ વેલ્યુ કરતાં પણ વધારે જંત્રી થઈ જાય છે.
- એફોર્ડેબલ હાઉસિંગના કિસ્સામાં જયારે યુનિટનું પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં 1 ટકા સ્ટેમ્પ ડયુટી ઘટાડી આપવા વિનંતી છે.
હાલના એવા પ્રકરણો કે જેના વ્યવહારો પૂર્ણતાના આરે છે અથવા તો અધૂરા છે. એવા કિસ્સામાં સામાન્ય માણસ ઉપર આકસ્મિક વધારો બોજા સમાન બની રહેશે. ઘણા કિસ્સાઓમાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્ટેમ્પ ડયુટી, જી.એસ.ટી. વિગેરે સાથે ગણી ચોકકસ રકમથી વેચાણ કર્યા હોય છે. એવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ શકે છે. આથી આ પ્રકારના વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પુરતો સમય મળી રહે તેવા હેતુને ધ્યાને રાખી નવી જંત્રીનો અમલ તા. 1 મે 2023થી ક૨વામાં આવે.