રાજ્યમાં આજથી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી, ભારે પવન સામાન્ય વરસાદની શક્યતા
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે. તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 32થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસોથી રાજકોટ અને અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.