ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકીના સીઇઓ કેનીચી આયકાવા સાથે મંત્રણા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચી ગયા છે. ત્યારે તેમણે ઉદ્યોગજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો શરૂ કરી છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ-વેપારના સંચાલકો અને અગ્રણીઓ સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સીઇઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હીસ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજકુમાર,ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. આ સિવાય મુખ્યમંત્રી સમિટના પ્રમોશન માટે આગામી 8 અને 9 ડિસેમ્બરે દુબઇ અને અબુધાબી જશે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કર્ટેન રેઇઝર ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે.