રાજકોટમાં પબ્લિક સ્કૂલના સંચાલકની દાદાગીરી, પહેલા પુરી ફી ભરો પછી જ પરિણામ આપીશું
હાલ કોરોનાની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલે ન ગયેલા વિદ્યાથીઓના વાલીઓને અમુક ખાનગી સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. રાજકોટની આવી એક જ ખાનગી સ્કૂલ પબ્લીક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં પરિપત્રનારૂપમાં વાલીઓને ધમકીપત્ર લખ્યો હોય તેવું સાબિત થઇ રહ્યું છે. પરિપત્રમાં લખ્યું છે કે, પહેલા પુરી ફી ભરો પછી જ પરિણામ આપીશું. તેમજ 5 હજાર ભર્યા બાદ જ નવા વર્ષમાં પ્રવેશ મળશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવતા વાલીઓ પ્રવેશ લેવો કે નહીં તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે. તમેજ ખનગી પ્રકાશનના પુસ્તક લેવા દબાણ કરાયું છે.
કોરોના સમય દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી પ્રવેશ, પરિણામ અને પરીક્ષાને લઇ વાલીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે. ક્યાંક પરિણામ માટે ફી ભરવા દબાણ તો ક્યાંક નવા વર્ષમાં પ્રવેશ માટે રૂપિયાની માગણી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ જ રીતે રાજકોટની નામાંકિત રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા કેટલાક નિયમો સાથેનું સર્ક્યુલર વાલીઓને મોકલતા વિવાદ સર્જાયો છે. જેને વાલીઓ ફતવારૂપ ગણાવી રહ્યાં છે.
રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને એક સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે. જેમાં 10 જેટલા અલગ અલગ મુદ્દાઓની નોંધ કરવામાં આવી છે. આ 10 મુદ્દાઓ પૈકી કેટલાક મુદ્દાઓના કારણે વિવાદ સર્જાયો છે અને વાલીઓ તેને ફતવારૂપ ગણાવી રહ્યાં છે. વાલીઓનો આક્ષેપ છે કે, શાળા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફી ભરશો તો જ પરિણામ આપવામાં આવશે અને ભૂતકાળમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ સાથે LKG, HKG, નર્સરી અને ધોરણ 1ના વાલીઓને 1 જૂનના રોજ જ્યારે ધોરણ 2થી 5ના વાલીઓને 2 જૂનના રોજ અને ધોરણ 6થી 9ના વાલીઓને 3 જૂનના રોજ સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. જેમાં પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે સર્ક્યુલરમાં ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં આ સાથે સરકારના નિયમોનો ઉલાળિયો થતો હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને NCERTના પુસ્તકો જ લેવડાવવા સૂચન કર્યુ છે. પરંતુ આમ છતાં પણ રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.