સરકારી બેઠકોમાં ઈજનેરી-ફાર્મસીમા ગુજકેટ વિના પ્રવેશ આપવામાં આવશે
ડિગ્રી ઈજનેરી ,ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અને પીજી ઈજનેરી તેમજ પીજી ફાર્મસીમાં પ્રવેશના નિયમોમાં સરકારે ફેરફાર કરતા આ વર્ષથી બે થી ત્રણ ઓનલાઈન કે ત્રીજા ઓફલાઈન રાઉન્ડ બાદ ખાલી પડનારી વેકેન્ટ ક્વોટાની સરકારી તેમજ ગ્રાન્ટેડ બેઠકોમાં યુજીમાં ગુજકેટ,જેઈઈ કે નીટ વગરના વિદ્યાર્થીને પીજીમાં સ્ટેટ લેવલની પીજીસેટ પરીક્ષા કે રાષ્ટ્રીય પરીક્ષા પાસ ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવશે.જેમાં ગુજરાત સરકારના ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશના અત્યારસુધીના નિયમો મુજબ ડિગ્રી ઈજનેરી તેમજ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અને એમ.ઈ અને એમ.ફાર્મમાં પ્રવેશ સમિતિના બે ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકો ખાનગી કોલેજોને પોતાની રીતે ભરવા અપાતી તેમજ ખાનગી કોલેજો વેકેન્ટ ક્વોટામા ગુજકેટ,જેઈઈ કે પીજીસેટ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હતી.પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે ટેકનિકલ કોર્સના પ્રવેશના નિયમોમાં ફેરફાર કરતુ નોટિફિકેશન કર્યુ છે.જે નોટિફિકેશન મુજબ પ્રવેશ સમિતના કોમન ઓનલાઈન કે ત્રીજા ઓફલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકોમાં સરકારી -ગ્રાન્ટેડ કોલેજોમાં ડિગ્રી ઈજનેરીમાં ગુજકેટ-જેઈઈ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં નીટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.જ્યારે એમ.ઈમાં ગેટ કે પીજીસેટ વિનાના અને એમ.ફાર્મમાં પીજીસેટ કે જીપેટ વિનાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.જે નોટિફિકેશન મુજબ પ્રથમ તક મેરિટમાં હોય તેવા વિદ્યાર્થીઓને આપવાની રહેશે,ત્યારબાદ જો બેઠકો ખાલી રહે તો મેરિટમાં ન હોય તેવા પરંતુ ધો.૧૨ પાસની નિયમ મુજબની લાયકાત ધરાવતા હોય અને ગુજકેટ-જેઈઈ કે નીટ આપી હોય તેવા રજિસ્ટ્રેશન વગરના વિદ્યાર્થીઓની એપ્લિકેશન મંગાવવાની રહેશે ત્યારબાદ પણ ખાલી રહે તો પુરક પાસ વિદ્યાર્થીઓની અરજી મંગાવવાની રહેશે ત્યારબાદ પણ ખાલી રહે તો રાજ્ય બહારના જેઈઈ-ગુજકેટ કે નીટ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓની અરજી મંગાવાવની રહેશે અને તે પછી જો સીટ ખાલી રહે તો ડિપ્લોમા ઈજનેરી કે ડિગ્રી સાયન્સ પાસ વિદ્યાર્થીઓથી બેઠકો ભરવાની રહેશે.આમ આ તમામ વિદ્યાર્થીઓને તક આપ્યા બાદ જો બેઠકો ખાલી રહે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ધો.૧૨ સાયન્સ પાસ થયેલા અને ગુજકેટ,જેઈઈ કે નીટ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવી સરકારી-ગ્રાન્ટેડની ખાલી બેઠકો પર પ્રવેશ આપવાનો રહેશે.