ઈતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં જ ભગવાનની પરિક્રમા
અમદાવાદ
૧૪૩ વર્ષમાં આજે પહેલીવાર જગન્નાથ મંદિરેથી રથયાત્રા અમદાવાદના રસ્તા પર ફરવાને બદલે માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં આજે સવારની મંગળા આરતી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિરની બહાર નહોતા નીકળ્યા.
દર વર્ષની માફક આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથ ખેંચવા માટે મંદિરે વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે ત્રણેય રથને ખેંચીને મંદિરના પ્રાંગણમાં ફેરવ્યા હતા. આ ઘટનાના અનેક ભક્તો પણ સાક્ષી બન્યા હતા. રથ જ્યારે મંદિરમાં ફરી રહ્યા હતા ત્યારે સમગ્ર જગન્નાથ મંદિર જય રણછોડ માખણ ચોરના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. રથયાત્રા ભલે અમદાવાદમાં ના ફરવાની હોય, પરંતુ દર વર્ષની માફક આ વખતે પણ તેને લગતી તમામ વિધિઓ પરંપરાગત રીતે જ અનુસરવામાં આવી હતી. સવારે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે મંગળા આરતી ઉતારી હતી. ત્યારબાદ ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા હતા. વહેલી સવારે સીએમ વિજય રુપાણી પણ પહિંદ વિધિ કરવા માટે જગન્નાથ મંદિર આવી પહોંચ્યા હતા. તેમણે માસ્ક પહેરીને સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ કર્યા હતા.. ત્યારબાદ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જાકે, આ વખતે કોરોનાને કારણે ભક્તોએ પણ સ્વંય શિસ્ત જાળવીને મંદિર આવવાનું ટાળ્યું હતું.