ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસના નેતા વિરુદ્ધ FIR નોંધાઈ
કોંગ્રેસ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવ્યો હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. ગ્યાસુદિન શેખ વિરૂધ્ધ ઇ.પી. કો 188 & લોક પ્રતિનિધિત્વ 127 (અ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પ્રચાર માટે તેમના વિસ્તારમાં વહેંચવામાં આવેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવ્યુ હોવાનું ફરિયાદમા જણાવાયું છે. મદદનીશ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. પત્રિકામાં મતદાન માટેનો સમય 8થી 6 નો દર્શાવ્યો છે. જે સંદર્ભે ગ્યાસુદ્દીન શેખે હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો હતો. આ પત્રિકા કાર્યકરોને નિયમની જાણકારી વિના શરતચૂકથી છપાઈ હોવાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક-પ્રકાશક સામે પોલીસે તપાસ શરૂ કરી છે.
2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.00 નોંધાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને હરાવ્યા હતા.