
અપહૃત બાળકના મર્ડર બાદ પિતાનું છલકાયુ દુઃખ
સુરત, જિલ્લાના કડોદરા ખાતે ગત આઠમી તારીખના રોજ કૃષ્ણનગરમાંથી બાર વર્ષીય બાળકનું અપહરણ કરાયું હતું. અપહરણકારોએ બાળકને મુક્ત કરવાના બદલામાં ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આજે કામરેજ તાલુકાના ઉભેળ ગામની સીમમાંથી આ અપહત બાળકનો મુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુનાખોરીનું હબ બનતું જતું સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે ક્રાઇમ સિરીયલોમાં જોવા મળતા દ્રશ્યો અને તેવી કહાની આ કડોદરા વિસ્તારમાં વાસ્તવરૂપમાં ગુનેગારો દ્વારા અંજામ અપાયો છે. ઘટના એ બની હતી કે, ગત આઠમી તારીખે સાંજના સમયે કૃષ્ણનગરમાંથી ટયુશનથી પરત ફરી રહેલા અમરેન્દ્ર સુધીરકુમાર મહંતો નામના બાળકનું અપહરણ કરાયું હતું.
આ અંગે મૃતકના પિતા સુધીર મહંતોએ જણાવ્યુ કે, અમરેન્દ્ર ટયુશનથી ઘરે બે કલાક સુધી બાળક નહીં પરત થતા પરિવારજનો ચિંતિત રીતે ઘરમાં બેઠા હતા. તે દરમિયાન એક ફોન કોલ આવ્યો કે જેનાથી બાળક અમરેન્દ્રના પિતા સુધીરકુમાર સહિત તેમના પરિવારજનો હચમચી ગયા હતા. આ ફોન કોલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બાળક અમરેન્દ્રનું કેટલાક અપહરણકારોએ અપહરણ કર્યું છે. તેને મુક્ત કરવા માટે ૧૫ લાખની ખંડણી માંગી હતી. આ શકમંદ આરોપીઓ મૃતકના ઘરની નજીક જ રહેતા હતા.
સુરત ગ્રામ્ય, જિલ્લા પોલીસવડા, હિતેશ જોઈસરે આ ક્રાઇમમાં પ્રકાશ નાંખતા જણાવ્યુ કે, ત્રણ અપહરણકારોએ પિતા પાસે પહેલા ૫૦ હજારની માંગણી કરીને ફોન બંધ કરી દીધો હતો. જે બાદ ફરીથી તે લોકોએ ૧૫ લાખની ખંડણી માંગી હતી. બાળક અમરેન્દ્રના પિતા સુધીરકુમાર અપરણકર્તાઓને પહેલા પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા.જોકે પરિવારજનોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બીજી બાજુ અપહરણકારોએ પણ આપેલી ધમકી મુજબ જ ગુનાને અંજામ આપી દીધો હતો. કામરેજ તાલુકાના ઉભેળ ગામે આજે ઝાડી ઝાંખરીમાંથી અપહત બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
સુરત ગ્રામ્ય કડોદરા વિસ્તારમાંથી બાર વર્ષેના બાળકનું અપહરણ ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવો એ પણ પોલીસ માટે એક સમયે પડકાર હતો. પરંતુ અપહરણની ઘટના બનતા જ જિલ્લા પોલીસવાળાએ ગ્રામ્ય તેમજ શહેર પોલીસની દસથી વધુ ટીમો બનાવી હતી.
સુરત ગ્રામ્ય, જિલ્લા પોલીસવડા, હિતેશ જોઈસરે વધુમાં જણાવ્યુ કે, પોલીસ તપાસ દરમિયાન અપહરણકારો પૈકી એક ઉમંગ નામનો જે ઈસમ છે તેને સુરત શહેરમાંથી અટકાયત કરી લેવાઈ હતી. જેની પોલીસે કડકાઈ પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, બાળકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને આ ઉભેળ ગામની સીમમાં જાડી જાખરીમાં તેના મૃતદેહને સંતાડી દેવાયો છે.
જેથી પોલીસે હાલ બાળકના મૃતદેહનો પણ કબજો મેળવ્યો છે. સાથે સાથે અપહરણકારો પૈકી એક આરોપી ઉમંગ નામના ઈસમની અટકાયત પણ કરી છે. આ અપહરણમાં અન્ય કેટલા લોકો સામેલ હતા એ તમામ બાબતે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.