રાજયમાં કોરોના ખૌફ યથાવત : નવા ૧૧૦૧ કેસ : ૨૨ના મોત
ગાંધીનગર : રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૨૫૫ ટેસ્ટ કરવામાં આવતા ૧૧૦૧ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૬૩ હજારને પાર થઈ ૬૩૬૭૫ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૨૨ મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૪૮૭ થયો છે. રાજ્યમાં ૮૦૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે ડિસ્ચાર્જ થવાનો આંકડો ૪૬ હજારને પાર થઈ ૪૬૫૮૭ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૪૬૦૧ એક્ટિવ કેસ છે. જેમાં વેન્ટીલેટર પર ૮૧ દર્દી અને ૧૪૫૨૦ સ્ટેબલ છે.
રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૮ કોર્પોરેશન અને ૩૨ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરેલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ સુરત કોર્પોરેશનમાં ૭ અને જિલ્લામાં ૫, અમદાવાદ શહેરમાં ૨, ભાવનગર શહેરમાં ૨ અને વડોદરા શહેરમાં ૨ દેવભૂમિ દ્ધારકામાં ૧, ગાંધીનગર શહેરમાં ૧, પાટણમાં ૧ અને રાજકોટમાં ૧ સાથે કુલ ૨૨ મોત રાજ્યમાં કોરોનાને લીધે થયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૩ અને જિલ્લામાં ૧૨ સાથે કુલ ૧૫૫ નવા કોરોનાના કેસ નોંધાયા છે.