ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં ૧૫૧૫ કેસ
અમદાવાદ : વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૯૦ લાખ પાર પહોંચી છે. ગત ૨૪ કલાકમાં ૪૬,૨૩૨ નવા દર્દીઓ સામે આવ્યા છે તો ૫૬૪ દર્દીઓના મોત પણ નીપજ્યાં છે. નેપાળથી ભારત આવતા ભારતીય નાગરિકો તેમજ નેપાળીઓનો પણ કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. જે પછી જ તેમને ભારતમાં પ્રવેશ મળશે. ગુજરાતમાં પણ કોરોના મહામારીમાં તહેવારોની અસર જોવા મળી છે. જેને લઈને કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૧૫૧૫ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ રાજ્યમાં ૧૯૫૯૧૭ થયો છે. જ્યારે ચોવિસ કલાકમાં કુલ નવ જણાનાં મોત થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૭૦૩૮૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૭૧૭૧૪૪૫ થયો છે. રાજ્યમાં ૧૫૧૫ નવા દર્દીઓ સામે ૧૨૭૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧૭૮૭૮૬ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૦૮૨.૮૯ ટેસ્ટ થાય છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૬,૮૦૬ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪૮૬૭૧૨ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૯૪ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩૨૮૫ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૩૧૯૦ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૯૫ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે તો સાથે ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે. રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન રાજકોટ કોર્પોરેશનમાં ૧, અમદાવાદ કોર્પોરેશનમાં ૫, સુરત કોર્પોરેશનમાં ૨, ગીર સોમનાથમાં ૧ મોત એમ કુલ ૯ મોત નીપજ્યાં હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૩૮૪૬ થયો છે.