સપ્ટેમ્બરથી કોલેજો શરૂ થઈ શકે છે, 25% અભ્યાસક્રમ ઓનલાઇન, દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19 સેલ પણ ફરજિયાત
રાજ્યની યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થશે અને સપ્ટેમ્બરથી કોલેજોની શૈક્ષણિક કાર્યવાહી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે, આ ઉપરાંત કોલેજોમાં 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન રાખવાની સાથે દરેક કોલેજો અને યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની ફરજિયાત સુવિધા ઉભી કરવી પડશે, આની સાથે દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19નો ખાસ સેલ પણ ઉભો કરવાનો રહેશે.
ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર વધારે ભાર મૂકવામાં આવશે. ઓગષ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે અને સપ્ટેમ્બર માસથી વર્ગો શરૂ થશે. લેબોરેટરી અથવા પ્રેક્ટીકલ પ્રયોગ માટે વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ લેબોરેટરીનો ઉપયોગ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉભી કરવી પડશે. તમામ સ્ટાફને ડિજિટલ અભ્યાસ માટે તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ડિજિટલ ટીચિંગ એપ્લિકેશન અને વિવિધ ટુલ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.
આ ઉપરાંત અભ્યાસક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવશે. તમામ શાળા અને કોલેજો ખોલ્યા પછી બધા જ વર્ગો ફિઝિકલી લેવામાં નહીં આવે. તમામ શિક્ષકોને 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન અને બાકીનો અભ્યાસક્રમ વર્ગોમાં ભણાવવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની માહિતી રાખવાનું યુજીસી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. દરેક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની મુંઝવણ માટે કોવિડ-19 સેલ ઉભો કરવાનો રહેશે.