મુખ્યમંત્રીના બંગલે કોર કમિટીની બેઠક શરૂ
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સમીક્ષા કરી છે. તેની સાથે સાથે ગૃહ, આરોગ્ય, શિક્ષણ અને સામાન્ય વહીવટી વિભાગની પણ બેઠક મળી હતી. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી હતી.
આજે(7 જાન્યુઆરી) રાત્રે 12 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે. મુખ્યમંત્રીના બંગલોએ કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અંગે તથા રાત્રિ કર્ફ્યૂ સહિતના નવા નિયંત્રણોની ગાઇડલાઇન અંગે નિર્ણય કરવામાં આવશે.
હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના 11થી 5વો કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો થવાની પ્રબળ સંભાવના છે. એટલે કે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે.