
ભાજપને ફટકો: ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું
ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આજે મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાઘેલાએ પોતે પદ પરથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ કરી છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે આગામી થોડા દિવસોમાં “બધું સારું થઈ જશે”. પ્રદીપસિંહ વાઘેલાની 10 ઓગસ્ટ 2016ના રોજ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મહત્વનું છે કે પ્રદીપસિંહે 7 દિવસ પહેલા રાજીનામું આપ્યાનું BJPનાં રાષ્ટ્રીય સંગઠન નેતાએ સ્વીકાર્યું છે. વાધેલાના રાજીનામા પછી સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું તેમણે સ્વઈચ્છાએ રાજીનામું આપ્યું કે માગી લેવામાં આવ્યુ છે.
આ જાહેરાત લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ આવી છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ગુજરાત ભાજપે તાજેતરમાં ‘મહા જનસંપર્ક અભિયાન’ અથવા જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં તેણે અન્ય બાબતોની સાથે સાથે બૌદ્ધિકોની સભા અને વિવિધ વેપારી સમુદાયોના પરિષદોનું આયોજન કર્યું હતું.
રાજીનામાથી અનેક ચર્ચાએ જોર પકડ્યું
ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત જમીન કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની હાલ ચર્ચા શરૂ થઈ છે. તેમને કમલમમાં પ્રવેશવા સામે મોવડીમંડળે મનાઈ ફરમાવી હોવાનું પણ પણ સામે આવ્યું છે. ભાજપનાં યુવા નેતાએ એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણાં કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવ્યાં હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપી હતી. આ કેસમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી હતી. હાલ જમીન કૌભાંડમાં યુવા નેતા પ્રદિપ સિંહ વાઘેલા સાથે અમદાવાદ ભાજપના અન્ય લોકો સામેલ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વસાવના સમર્થકો સિવાય પણ બીજા લોકોની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે.
આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. એવી ચર્ચા હતી કે પત્રિકામાં થયેલા આક્ષેપોને લઈને શહેર પોલીસની એક ટીમે તેમની પાંચે કલાક પૂછપરછ કરી હતી. આ મામલે પહેલા નેતાએ વાત ગોળગોળ ફેરવી હતી પણ અંતે કૌભાંડ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત તેમના વિરુદ્ધ અન્ય ફરિયાદો પણ કરાય હતી જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદનો પોટલો દિલ્હી પહોંચ્યો અને રાજીનામું લઈ લેવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Tags bjp Gujarat india pradipsinh Rakhewal