ભાજપ,કૉંગ્રેસનો આલાપ સ્વચ્છ છબી ધરાવતાં યુવાનો, નવા ચહેરા અને મહિલાઓને ટિકિટ આપીશું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં પહેલાં ભાજપ અને કોંગ્રેસ પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.ત્યારે ભાજપે મહાનગરો અને પાલિકામાં જ્યાં એન્ટી-ઇન્કમ્બન્સીની અસર હશે એવી બેઠકો પર ઉમેદવારો બદલવાનું નક્કી કર્યું છે,જ્યારે કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની રણનીતિ બનાવી છે.
આમ ભાજપના સિનિયર નેતાનું કહેવું છે કે ગુજરાતમાં વર્ષ 2001 પછી આવેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં એન્ટી-ઇન્કમ્બન્સીને નિવારવા માટે નરેન્દ્ર મોદીએ નવા ચહેરાઓને તક આપવાનું શરૂ કર્યું હતું અને એનાં પરિણામ સારાં મળ્યાં છે,તેથી આ વખતની સ્થાનિક ચૂંટણીમાં પણ નવા ચહેરાને તક આપવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 192 બેઠકો પૈકી 80 બેઠકોમાં અનામતના મુદ્દે ફેરફાર થયો છે,તેથી ઉમેદવારો બદલાશે.એ ઉપરાંત બીજા મહાનગરમાં પણ સિટિંગ સભ્યોને સ્થાને નવા ચહેરા પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે.
આમ કોંગ્રેસના સિનિયર નેતાએ કહ્યું હતું કે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.જેમાં સિટિંગ સભ્યો જે ચૂંટણી જીતી શકે તેવા છે તેમને બદલવામાં નહીં આવે,પરંતુ નવા ચહેરાને સ્થાન અપાશે.અમે શહેરી વિસ્તારની મહાનગરપાલિકા તેમજ પાલિકાની ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને વધારે માત્રામાં ટિકિટ આપવાના છીએ, જેથી તેઓ ચૂંટણી જીતી શકે.પાર્ટી જિલ્લા અને તાલુકાપંચાયતના ઉમેદવારોમાં કોઇ મોટો ફેરફાર કરવા માગતી નથી.જે લોકો ચૂંટણી હારી ગયા છે તેમને બદલીને નવા ચહેરાને તક અપાશે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકા,55 નગરપાલિકા,31 જિલ્લાપંચાયતો તેમજ 231 તાલુકાપંચાયતોની ચૂંટણી થવાની છે.આ ચૂંટણી માટે 8 હજાર જેટલાં ઇવીએમ મૂકવામાં આવશે.ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક મહત્ત્વની જાહેરાતો કરી હતી.આ ચૂંટણીમાં નાનામોટા મળીને કુલ 20 પક્ષો ભાગ લે એવી સંભાવના છે.