ગુજરાતમાં AAPના કાર્યાલયના ઉદઘાટન સમયે જ દિલ્હીના ધારાસભ્ય સહિત 5ના પાકિટ ચોરાયા
એકની અટકાયત
દિલ્હીના મુખ્યમંત્રી આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે મુલાકાત દરમિયાન અલગ-અલગ કાર્યક્રમમાં કેજરીવાલે ભાગ લીધો હતો. સર્કિટ હાઉસ, વલ્લભ સદન અને બાદમાં નવરંગપુરા ખાતેના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે હાજર રહેનાર આપના દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવનું પાકીટ ચોરી થયું સાથે જ અન્ય 4 વ્યક્તિઓના પણ પાકીટ ચોરી થયા છે જે મામલે પોલીસે શકમંદોની અટકાયત કરી છે.
નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું અરવિંદ કેજરીવાલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ હાજર હતા. સાથે જ અમદાવાદના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળી હતી અને ભીડનો ફાયદો ઉઠાવીને અજાણ્યા શખ્સે દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ અને આપના અન્ય 4 જેટલા કાર્યકરોના પાકીટ સાફ કરી દીધા.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જગદીશ કલાપીએ જણાવ્યું હતું કે, ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલ સાથે અન્ય ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ હાજર હતા. ભીડમાં કોઈ વ્યકિતએ ધારાસભ્ય સહિત 5 વ્યક્તિઓના પાકીટ ચોરી કર્યા છે. જે મામલે એક શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની અટકાયત કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પાકીટ ચોરી થયાની વાત અમારા ધ્યાન પર આવી છે જેને લઇને ફરિયાદીની ફરિયાદ નોંધાવી તજવીજ ચાલુ છે. ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.