
નર્મદા જિલ્લામાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ આજે બંધ રહેશે
અમદાવાદ, ભારતીય હવામાન વિભાગ દ્વારા તા ૧૮-૦૯-૨૦૨૩ સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ સી.એ. ગાંધી દ્વારા એક જાહેરનામા દ્વારા કરાયો છે. આ જાહેરનામાનો બંધ કરનાર વ્યક્તિ તથા કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
દાહોદમાં વરસાદને લઈને આવતીકાલે શાળાઓમાં રજા રહેશે. દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે સોમવારે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી અમદાવાદમાં વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો છે, શહેરમાં બાકીના અંડરપાસ ખુલ્લા છે. આ ઉપરાંત વાસણા બેરેજના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.
આગામી ૨૪ કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
રાજ્યના ચાર જિલ્લામાં આગામી ૨૪ કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.