આવતી કાલે હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણી, કાળાબજારી મુખ્ય મુદ્દો રહેશે
સુઓમોટો અરજી પર આવતી કાલે ગુજરાત હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થશે. ત્યારે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. જેમાં રાજ્યમાં થતી કાળાબજારી, RT-PCR ટેસ્ટિંગ, યોગ્ય સારવારનો અભાવ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં PHC સેન્ટર તેમજ હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટરના અભાવને લઈને સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. બીજીતરફ આજે સાંજે રાજ્ય સરકાર સોગંદનામું રજૂ કરશે.
એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટએ જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં RTPCR ટેસ્ટ માં ઘણો વિલંબ થાય છે 5 દિવસે રિપોર્ટ આવે છે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે સુપર સ્પ્રેડર બનીને સંક્રમણ આખા ગામમાં ફેલાવી શકે છે. જિલ્લાની લેબ પણ ટેસ્ટિંગની વ્યવસ્થા ન હોય માટે શહેરોમાં સેમ્પલ મોકલે છે. આવી અવ્યવસ્થામાં તો કોરોનાની ચેઇન ને બ્રેક કેમની કરી શકાય…?
રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ છે. તાલુકા ક્ષેત્રે માત્ર દિવસના 50 એન્ટીજન ટેસ્ટ જ થાય છે
. સાથે જ ધનવંતરી રથની પણ કામગીરી ઓછી જોવા મળી રહી છે. RTPCR ટેસ્ટનું પરિણામ આવતા સમય વધુ લાગે છે આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવા અને ઓક્સિજનની અછત સામે એડવોકેટ એસોસિયેશનને સૂચનો અપાયા છે.
અમદાવાદના GMDC હોસ્પિટલ હજુ સુચારુ રૂપે ન ચાલતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ એમ્બ્યુલન્સ અને શબવાહિની 8થી 10,000 રૂપિયા ઉઘરાવતી હોવાની અમદાવાદમાં ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. 15000ના રેમડેસિવિર ઇન્જેક્શનની 2.50 લાખ કાળાબજારી સુધી થાય છે. આ તમામ મુદ્દાઓ પર આવતી કાલે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી થશે. સાથે જ આજે સાંજ સુધીમાં રાજ્ય સરકાર પણ સોગંદનામું રજૂ કરશે.