યાત્રાધામમાં લાખ્ખો દર્શનાર્થીઓ આવવાથી અંબાજી ફરતે પાંચ હજાર જવાનોની સુરક્ષા ગોઠવવામાં આવી
અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં ઓચ્છવ કોરોનાના ગ્રહણ બાદ જોવા મળ્યું છે. જેમાં યાત્રિકોની પાંખી હાજરી વચ્ચે હજુ પણ લાખ્ખો યાત્રિકો અંબાજી આવવાની તંત્રની ધારણાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા પણ પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. શ્રાવણ સુદ પાંચમથી અંબાજીમાં પદયાત્રીઓનો પ્રવાહ ઊમટ્યો હતો. આ દરમિયાન લાખ્ખો યાત્રિકોએ માનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લાખ્ખો યાત્રિકો આવવાની વહીવટીતંત્રની ધારણામાં તંત્ર દ્વારા અંતિમ ઘડીએ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ સાથે જ સુરક્ષા વિભાગ દ્વારા પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા અંબાજી મંદિર સહિતના માર્ગોને સાંકળી અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. જ્યારે અંબાજીને જોડતા માર્ગો પર એકલ-દોકલ પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તેમછતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેવાને લઇ તેરસથી પૂનમ દરમિયાન યાત્રિકોનો પ્રવાહ વધવાની સંભાવના વર્તાઈ રહી છે. ભાદરવી પૂનમે મંદિર સુરક્ષાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા મંદિર પરિસર અને નજીકના પોઇન્ટ પર ડોગ-સ્ક્વોડ સહિત બોમ્બ-ડિસ્પોઝેબલ સ્ક્વોડ દ્વારા નિરીક્ષણ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સિવાય સુરક્ષામાં એસ.પી.-1,એ.એસ.પી.-2,ડી.વાય.એસ.પી.-9,પીઆઈ-49,પીએસઆઈ-94,પોલીસ કોન્સ્ટેબલ-1705,ટ્રાફિક-પોલીસ-82,મહિલા કોન્સ્ટેબલ-82,એસઆરપીની 4 કંપની,2500 હોમગાર્ડ,500 જીઆરડી જવાનોનો સમાવેશ થાય છે.