અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ફળોત્સવની ઉજવણી કરાઈ
અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં પુત્રદા એકાદશીની પાવન સંધ્યાએ 500 કિલો સંતરાની સજાવટ કરીને ફળોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.મંદિરમાં સંધ્યા આરતીના દર્શન સમયે શ્રદ્ધાળુ ભાવિકભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.આ ફળોત્સવની પ્રસાદી મણિનગરની એલજી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચે અને તેમને સુખાકારી મળે તેવા આશયથી ફળોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જે રીતે અન્નકૂટમાં વાનગીઓ બનાવીને પ્રભુ સમક્ષ કલાત્મક સજાવટ કરી ધરાવવામાં આવે છે,તેવી જ રીતે ભગવાનની અસીમ પ્રસન્નતા માટે ફળોત્સવ કરીને સંતો સેવા કરતા હોય છે.આ વર્ષનું મહત્વ સંતો તથા હરિભક્તોમાં વધારે રહ્યું છે.વૈશ્વિક મહામારી કોરોનાએ લોકોને હંફાવી અને ડરાવી દીધાં છે.પરંતુ પ્રભુના ભક્તો માટે ખાસ વાત એ છે કે આ વર્ષે તેમને સવિશેષ ભક્તિ કરવા મળી છે.પ્રભુભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે.આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભકતો ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ તે ઉત્સવનો આનંદ ઘરબેઠા માણે છે.
સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા માર્ગદર્શન સ્વામિનારાયણ ભગવાન,જીવનપ્રાણ અબજીબાપા તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરા સમક્ષ સંતોએ ભક્તિભાવથી 500 કિલો કરતાં વધારે સંતરાં કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં.આ ફળોત્સવમાં સ્થાનિક સંતો જોડાયા હતા અને કોરોના માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.જોકે મંદિરમાં જે રીતે ફળોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનાં ઓનલાઇન દર્શન કરી સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.