સોમનાથ અને દ્વારકા બાદ હવે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં અંબાજી મંદિરનો સમાવેશ કરાયો
દેશના યાત્રાધામોમાં પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવા અને સ્થાનિક રોજગારી તથા સ્થાનિક કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી પ્રસાદ યોજનામાં ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ ગુજરાતના સોમનાથ અને દ્વારકા મંદિરને પ્રસાદ યોજના હેઠળ સમાવાયા હતા હવે ત્રીજું મંદિર આ યોજના હેઠળ આવ્યું છે. કેન્દ્ર સરકારે અગાઉ દેશભરના કુલ 41 યાત્રાધામોને સમાવાયા હતા હવે નવા પાંચ તીર્થસ્થાનો પણ આ યોજના હેઠળ આવરી લેવાની કરાયેલી જાહેરાતમાં અંબાજી મંદિરનો પણ સમાવેશ થયો છે. અંબાજી મંદિરને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રિક સુવિધાઓ માટે આઇએસઓ 9001 સર્ટિફિકેટ મળ્યું છે.