
સુરતમાં પનીર, મસાલા, પેસ્ટ્રી બાદ આઈસ્ક્રીમના નમૂના ફેલ
સુરત, ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે છેલ્લા બે ત્રણ દિવસથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ગરમીથી રાહત અનુભવવા માટે સુરતીઓ જે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પી રહ્યા છે તેના કેટલાક સેમ્પલો ફેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. હનુમંતે આઈસક્રીમ એન્ડ લીક્વીડનો કાજુ અંજીર આઈસક્રીમ, અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસનો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ, બાલાજી આઈસક્રીમ પાર્લરનો વેનીલા આઈસક્રીમ અને ભરકાદેવી આઈસક્રીમનો પણ વેનીલા આઈસક્રીમનો નમૂનો ફેઈલ મળી આવ્યા છે.
આ સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવા કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે.
શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત ૬ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને ૪૦ કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે.
સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. ૬ જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની ૧૫ ડેરી અને દુકાનોમાંથી પનીરના ૧૫ સેમ્પલ લીધા હતાં, તેમાંથી ૧૦ સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ ૧૦ ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી ૨૪૦ કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.