
જે વ્યક્તિ વ્રત કરે છે, તેને અને તેના પરિવારની દરેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે
અમદાવાદ, સનાતન ધર્મમાં દરેક વ્રત-તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાંથી જ એક છે શીતળા સાતમનું વ્રત. શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે.
શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ આ વ્રત કરે છે, તેને અને તેના પરિવારની દરેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે. ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર, શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે.
તેથી શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠના દિવસે બધુ જ ભોજન બનાવી દેવામાં આaવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે. સાથે જ તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે. આ ભોજનને ફરીથી ગરમ કરવામાં નથી આવતું. આ વ્રત સંપૂર્ણ રીતે શીતળા માતાને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. તેમ પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની ઓરી-અછબડા જેવી બીમારીઓથી રક્ષા થાય છે.