રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કફર્યૂની મુદત લંબાવવી કે નહીં તે અંગે આજે નિર્ણય થઈ શકે
રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી હોય જે અંગે આજે બપોરે ગાંઘીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ. જૂનાગઢની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી રૂપાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે અઘિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
જૂનાગઢ જિલ્લામાં વઘી રહેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ પહોંચ્યા હતા. પ્રથમ તેઓએ કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે મુખ્યમંત્રીએ સારવાર અને સુવિઘા બાબતે વાતચીત કરી હતી.
આ સાથે સિવિલમાં અપાતી આરોગ્ય સેવાઓ તથા પૌષ્ટીક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી અઘિકારીઓ પાસે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સંબંઘીઓને રૂબરૂ મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જશે તેવી હૈયાઘારણા આપીને રાજય સરકાર તમામ મદદ કરશે તેવી ખાત્રી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ કલેકટર કચેરીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસની પરિસ્થિતિ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો અને પરિસ્થિતિની જાણકારી મેળવીને કોરોનાને નિયંત્રણ કરછા જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનોઓ આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત વેળાએ મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચૂડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઇ માલમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, સહિતના જીલ્લા વહીવટી તંત્રના અઘિકારીઓ હાજર રહયા હતા.