વડોદરામાં મહિલા સહિત વધુ 4ના મોત, પોઝિટિવ કેસનો આંક 2520 પર પહોંચ્યો.
મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, આજે કોરોનાની સારવાર દરમિયાન મહિલા સહિત વધુ ચારના મોત થયા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 2520 પર પહોંચી ગયો છે. ગતરોજ શહેરની વિવિધ હોસ્પિટલોમાંથી 53 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 1843 પર પહોંચી ગઇ છે. ટકાવારીની દ્રષ્ટિએ 73 ટકાથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં 620 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી 119ને ઓક્સિજન પર અને 33ને બાયપેપ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. PTSમાં શુક્રવારે એક સાથે 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શનિવારે ફરી 25ને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા SSGમાં લવાયા હતા. તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. PTSના આચાર્ય હિતેન્દ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર PTSમાં તાલીમ 7 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. અને આઇસોલેશનમાં રાખેલા તાલીમાર્થીઓની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.