અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ ખરીદી શરૂ કરી, હેર સલૂનમાં લોકોની ભીડ જોવા મળી
અમદાવાદ : લોકડાઉન ૪માં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટન્ટમેંન્ટ ઝોનમાં નાના મોટા વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આજે સવારે મોટા ભાગની દુકાનો ખોલી દેવામાં આવી છે. દરેક દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે લોકો ખરીદી કરી રહ્યા છે. ઘણી બધી દુકાનોમાં ગ્રાહકોને બહારથી જ વસ્તુ આપી દેવાય છે. વેપારીઓએ દુકાન ના પ્રવેશદ્વારને દોરી વડે બંધ કરી દીધો છે. સૌથી વધારે ભીડ આજે પાન-મસાલાનું વેચાણ કરતા દુકાનોમાં જોવા મળી છે. સ્થાનિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને પાનના ગલ્લા પર લાઈનમાં ઉભા રહ્યા જણાયા. બીજી તરફ હેર સલૂનમાં પણ કોરોનાની સતર્કતા સાથે લોકોની ભીડ જોવા મળી છે. શહેરમાં કોરોનાના સતત ૨૦મા દિવસે ૨૫૦થી વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના ૨૬૩ નવા કેસ નોંધાયા છે. ત્યારે કુલ ૮૬૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૧૮૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કુલ ૨૮૪૧ લોકોને ડિસ્ચાર્જ કર્યાં છે. જ્યારે અત્યાર સુધી કુલ ૫૫૫ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આજે લોકડાઉન ૪.૦ના નવા નિયમો જાહેર કર્યાં છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જ્યારે અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.
Tags amadavad