
કપડવંજ થી નડિયાદનો એસ.ટી બસ રૂટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી
કોરોના મહામારી પહેલા કેટલીક એસ.ટી.બસો બંધ કરવામાં આવી છે.જેના કારણે કપડવંજ,કઠલાલ તાલુકાના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે શાળા કોલેજો તેમજ ધંધારોજગાર અર્થે અપડાઉન કરતા મુસાફરોને પડતી હાલાકી નિવારવા કપડવંજ થી નડિયાદ રૂટની એસ.ટી બસ સેવા શરૂ કરવા મુસાફરોની માંગણી ઉઠવા પામી છે.જેમા કપડવંજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના રહીશો આણંદ તથા નડિયાદ ખાતે અભ્યાસ તેમજ નોકરી,ધંધા-રોજગાર અર્થે નિયમિત અપડાઉન કરે છે પરંતુ વિધાનગર થી નડીયાદ થી મહુધા,કઠલાલ તેમજ કપડવંજ રૂટ ઉપર વર્તમાનમાં કોઈપણ બસ સેવા ચાલુ નથી.ત્યારે આ રૂટ પર એકપણ બસ ચાલુ ન હોવાથી આ રૂટ ઉપર આવેલા તમામ નાના-મોટા ગામડાના વિદ્યાર્થીઓ તથા મુસાફરોને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.જેમાં સૌથી વધુ કપડવંજ,કઠલાલ તેમજ મહુધા તાલુકાના આજુબાજુના ગામડાના મુસાફરોને વિદ્યાનગર થી નડિયાદ,મહુધા,કઠલાલ તેમજ કપડવંજમાં અવરજવર કરવામાં ઘણી તકલીફો પડી રહી છે.જેમાં દરરોજના આશરે ૩૦૦ થી 400 લોકો અપડાઉન કરે છે.જેથી કોલેજ તથા ઓફિસ ટાઈમ આવવા જવા માટે નિયમિત બસ ન હોવાથી ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવી જોખમી અવરજવર કરવાની ફરજ પડે છે ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને અવરજવર કરવામાં અનુરૂપ સમય મુજબની કપડવંજ થી નડિયાદ તરફની એસ.ટી.બસો સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.