છેલ્લા 15 દિવસમાં ત્રીજી અભિનેત્રીએ કરી આત્મહત્યા, લટકતી મળી લાશ
બંગાળી સિનેમામાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અન્ય એક મોડલ અભિનેત્રીએ આજે કોલકાતામાં આત્મહત્યા કરી હતી. મંજુષા નિયોગીનો મૃતદેહ આજે તેના પટુલીના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. છેલ્લા 3 દિવસમાં આ બીજી અભિનેત્રીનું મોત છે. છેલ્લા 15 દિવસમાં કોલકાતામાં ત્રણ અભિનેત્રીઓના મોત થયા છે. આ ખરેખર ચોંકાવનારી ઘટના છે.
પલ્લવીના બોયફ્રેન્ડની ધરપકડ
તેની શરૂઆત નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી પલ્લવી ડેના મૃત્યુથી થઈ હતી. 15 મેના રોજ પલ્લવીની લાશ તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. પલ્લવીના પરિવારે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને લિવ-ઈનમાં રહેતા પલ્લવીના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી.
વિદિશાએ સ્યુસાઇડ નોટમાં કેન્સર હોવાનું કહ્યું
આ પછી, મોડલ અને અભિનેત્રી વિદિશા ડે મુઝુમદારનો મૃતદેહ પણ 2 દિવસ પહેલા ઉત્તર કોલકાતામાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ એક સુસાઈડ નોટ પણ લખી હતી અને મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નહોતા. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અભિનેત્રીના બોયફ્રેન્ડ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદિશાના મિત્રોનું કહેવું છે કે, અભિનેત્રી તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી. વિદિશાએ પોતાની સુસાઈડ નોટમાં પોતાને કેન્સર હોવાનું લખ્યું હતું. જે તેને નહોતું.
વિદિશા અને મંજુષા મિત્રો હતી!
આ કેસમાં બીજો વળાંક આવ્યો છે. મંજુષા નિયોગી અને વિદિશા ખૂબ સારા મિત્રો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મંજુષાની માતાના જણાવ્યા અનુસાર, વિદિશાના મૃત્યુ બાદથી મંજુષા ડિપ્રેશનમાં હતી. પોલીસે મંજુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મંજુષા અને વિદિશાના મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે કે પછી કંઈક બીજું છે તે વિશે પોલીસ ટૂંક સમયમાં તપાસ કરશે.