એકબીજાના થઈ ગયા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
મુંબઈ, બોલિવૂડ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા છે. ફિલ્મ શેરશાહના શૂટિંગ વખતે જ સિદ્ધાર્થ-કિયારા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ફિલ્મના મોટાભાગનું શૂટિંગ કારગિલમાં થયું હતું અને એ શિડયુલમાં કિયારાની ખાસ જરૂર નહોતી. ઉપરાંત પાલનપુરમાં થયેલા શૂટિંગમાં પણ તેની જરૂર નહોતી. કિયારાની જરૂર માત્ર ચંડીગઢના શિડયુલ વખતે હતી.
કિયારા અને સિદ્ધાર્થ ચંડીગઢમાં રાંઝણા ગીતના શૂટિંગ વખતે કે તેનાથી થોડા પહેલા પ્રેમમાં પડયા હતા. રસપ્રદ વાત એ છે કે, આ ગીત પહેલા ફક્ત ચંડીગઢમાં જ શૂટ થવાનું હતું પરંતુ તારીખો અને સમયની સમસ્યાને લીધે ગીતનો થોડો ભાગ ખંડાલામાં શૂટ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગીતનું શૂટિંગ ખંડાલામાં પૂરું થયું અને ત્યાં સુધીમાં તો સિદ્ધાર્થ-કિયારાનો પ્રેમ ગાઢ થવા લાગ્યો હતો. કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં બોલિવુડમાંથી શાહિદ કપૂર અને પત્ની મીરાં રાજપૂત, ડાયરેક્ટર કરણ જોહર, જૂહી ચાવલા અને તેના પતિ સામેલ થયા છે.
આ સિવાય કિયારાની બાળપણની ફ્રેન્ડ ઈશા અંબાણી પણ પતિ આનંદ પિરામલ સાથે જેસલમેરમાં હાજર છે. કિયારા અને સિદ્ધાર્થ પોતપોતાના પરિવારો સાથે ૪ ફેબ્રુઆરીએ જેસલમેર આવી ગયા હતા. જ્યારે સેલેબ્સ અને બાકીના મહેમાનો ૫ ફેબ્રુઆરીએ જેસલમેર પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ અને કિયારા મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરવાના છે.
અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિયારા પાસે પણ કેટલીક કામની જવાબદારીઓ છે. તેથી એકવાર તેઓ તેમના કામ પૂર્ણ કર્યા પછી હનીમૂન માટે જવાનું આયોજન કરી શકે છે. તો બીજી તરફ હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે બંને હનીમૂન માટે માલદીવ્સ જવા રવાના થશે. જોકે હાલ હનીમૂન પર જવા અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.