શાહરુખને પઠાનની રિલીઝ માટે શુભકામના આપવા ઉમટયા ફેન્સ
મુંબઈ, શાહરૂખ ખાનનો ખરેખર જબરો ચાર્મ છે. ભલે તેની ફિલ્મ પઠાનને લઈને ઘણી બબાલ મચી હોય. ભલે કેટલાક સંગઠનોએ શાહરૂખના પૂતળા સળગાવ્યા હોય. પરંતુ, એ વાત નકારી શકાય નહીં કે, કિંગ ખાન આજે પણ ફેન્સના દિલો પર રાજ કરે છે. શાહરૂખ આજ એક એવો જાદૂ બની ગયો છે, જેનાથી બાળકોથી લઈને મોટા સુધીના બચી નથી શકતા. શાહરૂખના દરેક બર્થ-ડે પર ફેન્સની ભારે ભીડ એક્ટરને વિશ કરવા અને તેની એક ઝલક મેળવવા ‘મન્નત’ની બહાર ઉમટી પડે છે. પરંતુ, આ વખતે આવો નજારો ૨૨ જાન્યુઆરીએ જોવા મળ્યો. ફેન્સની ભારે ભીડ ‘મન્નત’ની બહાર એકઠી થઈ ગઈ, જેથી શાહરુખને તેની ફિલ્મ ‘પઠાન’ની રીલિઝ માટે શુભકામનાઓ આપી શકે અને તેની એક ઝલક જોઈ શકે.
શાહરૂખ ખાને પણ ફેન્સને નિરાશન ન કર્યા. તે ઝડપથી પોતાના ઘર મન્નતની છત પર આવ્યો અને રેલિંગ પર ચડીને પોતાની આગવી સ્ટાઈલમાં ફેન્સના અપાર પ્રેમ માટે આભાર માન્યો. શાહરૂખને જોઈને ભીડ ઝૂમી ઉઠી અને બધાએ સીટીઓ વગાડી અને ‘શાહરૂખ ખાન… શાહરૂખ ખાનની બૂમો પાડવા લાગી. ફેન્સના આ પ્રેમને જોઈ શાહરૂખે તેમની સામે હાથ જોડી લીધા. પરંતુ ફેન્સની ભારે ભીડના કારણે બધી બાજુ ટ્રાફિક જામ થઈ ગયો અને લોકો ઘણી વાર સુધી ફસાયેલા રહ્યા. શાહરૂખે તેના માટે બધા લોકો અને ટ્રાફિક મેનેજ કરનારાઓની સોશિયલ મીડિયા પર માફી માગી.
શાહરુખે ફેન્સનો આભાર માનતા એક વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, ‘થેક્નયુ આ શાનદાર રવિવારની સાંજ માટે. સોરી પરંતુ આશા રાખું છું કં, લાલ ગાડીવાળાઓએ પોતાની ખુરશીની પેટી બાંધી લીધી હતી. ‘પઠાન’ માટે તમારી ટિકિટ બુક કરાવી લેજો અને હું હવે પછી તમને ત્યાં મળીશ.’
ટ્વિટની સાથે જ શાહરુખે ‘પઠાન’ની ટિકિટ બુક કરાવવા માટે લિંક પણ શેર કરી છે. જોત જોતામાં જ શાહરુખની આ ટ્વીટ અને વિડીયો વાયરલ થઈ ગયા છે. ફેન્સની ખુશી અને એક્સાઈટમેન્ટનો કોઈ પાર નથી રહ્યો. પરંતુ, ફેન્સ ભલે શાહરુખની ‘પઠાન’ માટે આતુર છે, પરંતુ આ ફિલ્મને લઈને ઊભો થયેલો વિવાદ હુજ શમ્યો નથી. તાજેતરમાં જ્યારે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને પઠાન પર ચાલી રહેલા વિવાદને લઈને સવાલ કરાયો તો, તેમણે શાહરુખને ઓળખતા હોવાની જ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં કહ્યું કે, રાત્રે ૩ વાગ્યે શાહરુખે તેમને ફોન કર્યો હતો. તો, બીજી તરફ પઠાનને લઈને દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ફિલ્મનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે. પટણામાં શ્રીરામ સેના સંગઠને ‘પઠાન’ની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પણ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ પઠાનને રીલિઝ નહીં થવા દેવાની ધમકી આપી ચૂકયા છે.