GSTમાં નહિ નોંધાયેલા વેપારી પાસેથી ખરીદી કરનારા બિલ્ડરે ટેક્સ ભરવો પડશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટર ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી)એ પરિપત્ર કરીને જે બિલ્ડરોએ 1 ટકા અને 5 ટકાનું ઓપ્શન લીધું હતું તેમણે 2019-20ના વર્ષ દરમિયાન અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી કરેલી ખરીદી ઉપર રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ 30 જૂન 2020 સુધીમાં જીએસટી ભરી દેવાનો આદેશ કરતાં મુશ્કેલી પરિસ્થિતિ ઊભી થઈ છે.
1 એપ્રિલ 2019થી રહેણાકના મકાનો બનાવતા બિલ્ડરોને જીએસટીમાં રાહત આપી જીએસટીનો દર એફોર્ડેબલ હાઉસિંગ માટે 1 ટકા અને એફોર્ડેબલ ના હોય તેના પર 5 ટકાનો દર આપવામાં આવ્યો હતો. આ સ્કીમની શરત મુજબ બિલ્ડરોએ રહેણાક સ્કીમ માટે કરેલા ખર્ચની ખરીદી જીએસટીમાં રજિસ્ટર હોય તેવા વેપારી પાસેથી કરવી ફરજિયાત હતી. જે મુજબ જો કોઇ બિલ્ડરે રજિસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી ના કરી હોય તો તેવા કિસ્સામાં બિલ્ડરે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ખરીદી પર લાગુ પડતો જીએસટી ચુકવવો પડશે. આ શરતોને કારણે જે કોઇ બિલ્ડરોએ ગત વર્ષે અનરજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ખરીદી કરી હોય તેવા કિસ્સામાં તેના પર લાગુ પડતો જીએસટી રિવર્સ ચાર્જના કાયદા મુજબ બિલ્ડરે જીએસટીમાં ભરી ઓનલાઇન ડીઆરસી-3 ફોર્મ ભરવાનું રહેશે.જો કોઇ બિલ્ડર 30 જૂન પછી ટેક્સ ભરે તો વ્યાજ અને દંડની જોગવાઇ લાગુ પડશે.
સીબીઆઇસીએ કરેલી સ્પષ્ટતા મુજબ અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી કરેલી ખરીદી ખર્ચમાં એફએસઆઇ, જમીનની ખરીદી, પેટ્રોલ-ડીઝલ, વીજળી અને પગાર ખર્ચનો સમાવેશ નહીં થાય. આ ઉપરાંતના ખર્ચ પર રિવર્સ ચાર્જમાં જીએસટી ભરવાનો રહેશે.